All books in ગુજરાતી IRV

યશા. 36

ગુજરાતી IRV · chapter 36

66 પ્રકરણો

ગુજરાતી IRV / યશા. / પ્રકરણ 36

ગુજરાતી IRV · chapter 36

1 ¶ હિઝકિયા રાજાની કારકિર્દીના અમલના ચૌદમા વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાનાં સર્વ કિલ્લાવાળાં નગરો ઉપર ચઢાઈ કરીને તેઓને જીતી લીધાં.

2 પછી આશ્શૂરના રાજાએ લાખીશથી રાબશાકેહને મોટા લશ્કર સહિત હિઝકિયા રાજાની પાસે યરુશાલેમ મોકલ્યો. તે ધોબીના ખેતરની સડક પર ઉપલા તળાવના ગરનાળા પાસે ઊભો રહ્યો.

3 ત્યારે હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે રાજમહેલનો અધિકારી હતો તે, સચિવ શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ જે ઇતિહાસકાર હતો તે, તેની પાસે મળવાને બહાર આવ્યા.

4 ¶ રાબશાકેહએ તેઓને કહ્યું, “હિઝકિયાને કહેજો, આશ્શૂરના મહાન રાજા એવું પૂછે છે કે, ‘તું કોના પર ભરોસો રાખે છે?

5 હું પૂછું છું કે, માત્ર મુખની વાતો એ જ યુદ્ધને માટે સલાહ તથા પરાક્રમનું કામ સારે? તેં કોના ઉપર ભરોસો રાખીને મારી સામે બંડ કર્યું છે?

6 ¶ જો, તું આ ભાંગેલા બરુના દાંડા પર, એટલે મિસર પર, ભરોસો રાખે છે કે, જેના ઉપર જો કોઈ ટેકે તો તે તેની હથેળીમાં પેસીને તેને વીંધી નાખશે! મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનાર સર્વ પ્રત્યે તેવો જ છે.

7 પણ કદાચ તું મને કહેશે, “અમારા ઈશ્વર યહોવાહ પર અમે ભરોસો રાખીએ છીએ,” તો શું તે એ જ ઈશ્વર નથી કે જેમનાં ઉચ્ચસ્થાનો તથા વેદીઓને હિઝકિયાએ નષ્ટ કર્યાં છે અને યહૂદિયા અને યરુશાલેમને કહ્યું છે, “તમારે, યરુશાલેમમાં આ વેદી આગળ જ પ્રણામ કરવા?”

8 ¶ તેથી હવે, હું તને બે હજાર ઘોડા આપું છું, તેઓ પર સવારી કરનાર માણસો પૂરા પાડવાની મારા માલિક આશ્શૂરના રાજાની સાથે તું શરત કર.

9 ¶ તમે કેમ કરીને મારા ઘણીના નબળામાં નબળા સરદારને પાછો ફેરવી શકો? કેમ કે તમારો ભરોસો મિસરના રથો અને ઘોડેસવારોમાં છે.

10 તો હવે, શું હું યહોવાહની આજ્ઞા વિના આ જગાનો નાશ કરવા માટે તેના ઉપર ચઢી આવ્યો છું? યહોવાહે મને કહ્યું છે, “આ દેશ પર ચઢાઈ કરીને તેનો નાશ કર!”

11 ¶ પછી એલિયાકીમે, શેબ્ના તથા યોઆહાઝે રાબશાકેહને કહ્યું, “મહેરબાની કરીને આ તારા ચાકરોની સાથે અરામી ભાષામાં બોલ; કેમ કે અમે તે સમજીએ છીએ. પણ કોટ પર જે લોકો છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદી ભાષામાં બોલતો નહિ.”

12 પણ રાબશાકેહએ તેઓને કહ્યું, “શું મારા માલિકે એ વચનો ફક્ત તારા માલિકને તથા તને કહેવાને માટે મને મોકલ્યો છે? જે માણસો કોટ ઉપર બેઠેલા છે અને જેઓ તારી સાથે પોતાની વિષ્ટા ખાવાને તથા પોતાનું મૂત્ર પીવાને માટે નિર્માણ થયેલા છે, તેઓને કહેવાને માટે મને મોકલ્યો નથી?”

13 ¶ પછી રાબશાકેહએ ઊભા રહીને મોટા અવાજે યહૂદી ભાષામાં પોકારીને કહ્યું, આશ્શૂરના મહાન રાજાધિરાજનાં વચનો સાંભળો;

14 રાજા કહે છે: ‘હિઝકિયાથી તમે છેતરાશો નહિ; કેમ કે તે તમને છોડાવી શકશે નહિ.

15 વળી “યહોવાહ આપણને જરૂર છોડાવશે; આ નગર આશ્શૂરના રાજાના હાથમાં જશે નહિ. એમ કહીને હિઝકિયા તમારી પાસે યહોવાહ પર ભરોસો કરાવે નહિ.”

16 ¶ હિઝકિયાની વાત સાંભળશો નહિ, કેમ કે આશ્શૂરનો રાજા એમ કહે છે: ‘મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો. પછી તમારામાંના દરેક પોતાના દ્રાક્ષાવેલામાંથી અને પોતાની અંજીરીના ફળ ખાશો અને પોતાની ટાંકીનું પાણી પીશો.

17 જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા દેશના જેવો, ધાન્ય તથા દ્રાક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષવાડીનો દેશ, તેમાં તમને લઈ જાઉં નહિ ત્યાં સુધી તમે એમ જ કરશો.’”

18 ¶ ‘યહોવાહ આપણને છોડાવશે,’ એમ કહીને હિઝકિયા તમને ગેરમાર્ગે ના દોરે. શું વિદેશીઓના કોઈ પણ દેવે પોતાના દેશને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવ્યો છે?

19 હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમના દેવો ક્યાં છે? શું તેઓએ મારા હાથમાંથી સમરુનને છોડાવ્યું છે?

20 એ દેશોના સર્વ દેવોમાંથી કયા દેવે પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો છે કે, યહોવાહ યરુશાલેમને મારા હાથમાંથી છોડાવે?”

21 ¶ તેઓ છાના રહ્યા અને તેના જવાબમાં એક પણ શબ્દ બોલ્યા નહિ, કેમ કે રાજાની આજ્ઞા એવી હતી કે, “તેને ઉત્તર આપવો નહિ.”

22 પછી હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે મહેલનો અધિકારી હતો તે, લેખક શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ ઇતિહાસકાર પોતાના વસ્ત્ર ફાડીને હિઝકિયા પાસે પાછા આવ્યા અને રાબશાકેહના શબ્દો કહી સંભળાવ્યા.