All books in ગુજરાતી IRV

લેવી 19

ગુજરાતી IRV · chapter 19

27 પ્રકરણો

ગુજરાતી IRV / લેવી / પ્રકરણ 19

ગુજરાતી IRV · chapter 19

1 ¶ યહોવાહે મૂસાને કહ્યું,

2 “ઇઝરાયલના સર્વ લોકોને કહે કે, ‘તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર પવિત્ર છું.

3 તમારામાંના પ્રત્યેક વ્યક્તિએ પોતાના માતાપિતાને માન આપવું અને મારા વિશ્રામવારોનું પાલન કરવું. હું તમારો ઈશ્વર યહોવાહ છું.

4 મૂર્તિઓ તરફ ન ફરો અને તમારા માટે ધાતુની મૂર્તિઓ બનાવશો નહિ. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

5 ¶ તમે જ્યારે યહોવાહની આગળ શાંત્યર્પણો ચઢાવો ત્યારે એવી રીતે ચઢાવો કે તમે તેમની આગળ માન્ય થાઓ.

6 જે દિવસે તમે તે અર્પણ કરો તે જ દિવસે તથા તેના બીજે દિવસે તે ખાવું. પરંતુ જો ત્રીજા દિવસ સુધી એમાંનું કંઈ બાકી રહ્યું હોય તો તેને અગ્નિમાં બાળી નાખવું.

7 જો તે ત્રીજે દિવસે સહેજ પણ ખાવામાં આવે તો તે અપવિત્ર છે. અને તે માન્ય થશે નહિ.

8 પણ જે કોઈ તે ખાય તેનો દોષ તેના માથે રહે. કેમ કે તેણે યહોવાહનું પવિત્ર અર્પણ અપવિત્ર કર્યુ છે. તેથી તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય.

9 ¶ જ્યારે તમે તમારા ખેતરમાંની ફસલની કાપણી કરો ત્યારે સમગ્ર ખેતર પૂરેપૂરું લણવું નહિ અને કાપણીનો પડી રહેલો ભાગ વીણી લેવો નહિ.

10 એ જ પ્રમાણે દ્રાક્ષવાડીના દ્રાક્ષોને પૂરેપૂરા વીણવા નહિ, તેમ જ નીચે પડેલી દ્રાક્ષ પણ વીણવી નહિ. ગરીબો તેમ જ મુસાફરોને માટે તે રહેવા દેવી. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

11 ¶ ચોરી કરવી નહિ. જુઠ્ઠું બોલવું નહિ. એકબીજાને છેતરવા નહિ.

12 ¶ મારે નામે જૂઠ્ઠા સોગન ખાવા નહિ અને તારા ઈશ્વરના નામનો અનાદર કરવો નહિ. હું યહોવાહ છું.

13 ¶ તારા પડોશી પર જુલમ કરવો નહિ અને તેને લૂંટવો નહિ, મજૂરીએ રાખેલા માણસનું મહેનતાણું આખી રાત એટલે સવાર થતાં સુધી તારી પાસે રાખવું નહિ.

14 ¶ બધિર માણસને શાપ ન આપ અને અંધજનના માર્ગમાં ઠોકર ન મૂક. પણ તેને બદલે મારું ભય રાખજો. હું યહોવાહ છું.

15 ¶ ન્યાયધીશોએ પોતાના ન્યાયમાં સદા પ્રામાણિક રહેવું, ગરીબો પ્રત્યે દયા દર્શાવીને એનો પક્ષ ન લેવો કે કોઈ માણસ મહત્વનો છે એવું વિચારીને એનો પક્ષ ન લેવો. પણ તેના બદલે હંમેશા ઉચિત ન્યાય કરવો.

16 ¶ તમારા લોકો મધ્યે તમારે કોઈએ કૂથલી કે ચાડી કરવી નહિ, પણ તમારા પડોશીના જીવનની સલામતી શોધવી. હું યહોવાહ છું.

17 ¶ તમારે તમારા હૃદયમાં તમારા ભાઈનો દ્વેષ ન કરવો. તમારા પડોશીને પ્રામાણિકપણે ઠપકો આપ અને તેને કારણે પાપને ચલાવી ન લો.

18 ¶ કોઈના પર વૈર વાળીને બદલો લેવાની ભાવના રાખવી નહિ, પરંતુ જેમ તમે પોતાના પર પ્રેમ રાખો છો તેમ પડોશીઓ પર પણ પ્રેમ રાખવો. હું યહોવાહ છું.

19 ¶ મારા નિયમો પાળજો. તમારા પશુઓને જુદી જાતના પશુ સાથે ગર્ભાધાન કરાવશો નહિ. તમારા ખેતરમાં એક સાથે બે જાતના બી વાવશો નહિ. તેમ જ જુદી જુદી બે જાતના તારનુ વણેલુ કાપડ પણ પહેરશો નહિ.

20 ¶ અને કોઈ સ્ત્રી દાસી હોય અને કોઈ પુરુષની સાથે તેનું લગ્ન થયું હોય અને કોઈએ તેને સ્વતંત્ર કરી જ ના હોય અથવા તો સ્વતંત્ર થઈ જ ના હોય તેની સાથે જે કોઈ શારીરિક સંબંધ રાખે તેઓને સજા કરવી, જો કે તેઓને મૃત્યુદંડ કરવો નહિ કેમ કે તે સ્ત્રી સ્વતંત્ર ન હતી.

21 ¶ તે વ્યક્તિએ દોષાર્થાર્પણ માટે મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવાહ સમક્ષ ઘેટો લઈને આવવું.

22 પછી તેણે જે પાપ કર્યું હોય તેને લીધે યાજકે તે વ્યક્તિના દોષાર્થાર્પણ માટે તે ઘેટા વડે યહોવાહ સમક્ષ પ્રાયશ્ચિત કરવું, એટલે તેને માફ કરવામાં આવશે.

23 ¶ કનાન દેશમાં તમે જ્યારે પ્રવેશ કરો અને કોઈ પણ ફળનું વૃક્ષ રોપો તો તેઓનાં ફળને ત્રણ વર્ષ સુધી તમારે અનુચિત ગણવા. તેમને ખાવા નહિ.

24 પરંતુ ચોથે વર્ષે તેના બધા જ ફળ પવિત્ર ગણાશે અને તેને યહોવાહનું સ્તવન કરવા માટે અર્પણ કરી દેવા.

25 પાંચમે વર્ષે તમે તેનાં ફળ ખાઈ શકો છો. એમ કરવાથી તે તમને વધારે ફળ આપશે. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

26 ¶ તમારે રક્તવાળું માંસ ખાવું નહિ. ભવિષ્ય જોવા માટે તાંત્રિક પાસે જવું નહિ તેમ જ દૈવી શક્તિઓનો ઉપયોગ કરવો નહિ.

27 ¶ તમારા માથાની બાજુના વાળ મૂર્તિપૂજકોની જેમ કાપો નહિ કે તમારી દાઢીના ખૂણા કાપવા નહિ.

28 ¶ મૃત્યુ પામેલાઓના લીધે તમારા શરીર પર ઘા કરવા નહિ તથા તમારા શરીર પર છાપ મરાવવી નહિ, હું યહોવાહ છું.

29 ¶ તારી પુત્રીને ગણિકા બનાવીને ભ્રષ્ટ કરવી નહિ; રખેને દેશ વેશ્યાવૃતિમાં પડે અને આખો દેશ દુષ્ટતાથી ભરપૂર થાય.

30 ¶ તમે મારા વિશ્રામવારો પાળજો અને મારા મુલાકાતમંડપના પવિત્રસ્થાનનું માન જાળવજો. હું યહોવાહ છું.

31 ¶ ભૂવા કે જાદુગરો પાસે જઈને તેમને પ્રશ્નો પૂછીને તેમની સલાહ લઈને તમારી જાતને અશુદ્ધ કરશો નહિ, કારણ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.

32 ¶ તું પળિયાવાળા માણસની સમક્ષ ઊભો રહે, વડીલોનું સન્માન કર અને ઈશ્વરનું ભય રાખ. હું તમારો ઈશ્વર યહોવાહ છું.

33 ¶ જો કોઈ પરદેશી તમારા દેશમાં તમારી મધ્યે આવે, ત્યારે તમારે તેનું ખોટું કરવું નહિ.

34 તમારી સાથે રહેતા પરદેશીને ઇઝરાયલમાં જન્મેલા વતની જેવો જ ગણવો. અને તમારા જેવો જ પ્રેમ તેને કરવો કેમ કે તમે પણ મિસર દેશમાં પરદેશી હતા. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

35 ¶ તમે ન્યાય કરો ત્યારે લંબાઈના માપમાં અને વજનના માપમાં ખોટા માપનો ઉપયોગ કરવો નહિ.

36 તમારે અદલ ત્રાજવાં, અદલ માપ, અદલ એફાહ અને અદલ હિનનો ઉપયોગ કરવો. હું તમને મિસર દેશમાંથી બહાર લઈ આવનાર તમારો ઈશ્વર યહોવાહ છું.

37 તમારે મારા બધા જ નિયમો, આજ્ઞાઓ અને વિધિઓનું પાલન કરવું. તેને અમલમાં લાવવા. હું યહોવાહ છું.’”