ગુજરાતી IRV / માથ. / પ્રકરણ 5
ગુજરાતી IRV · chapter 5
1 ¶ ત્યારે ઘણાં લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢ્યાં; ત્યાં તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા.
2 તેમણે પોતાનું મુખ ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે.
3 ¶ ‹“આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.›
4 ‹જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે;› ‹કેમ કે તેઓ દિલાસો પામશે.›
5 ‹જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે;› ‹કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.›
6 ‹જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે;› ‹કેમ કે તેઓ તૃપ્ત થશે.›
7 ‹દયાળુઓ આશીર્વાદિત છે;› ‹કેમ કે તેઓ દયા પામશે.›
8 ‹મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે;› ‹કેમ કે તેઓ ઈશ્વરને જોશે.›
9 ‹સુલેહ કરાવનારાંઓ આશીર્વાદિત છે;› ‹કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.›
10 ‹ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે;› ‹કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.›
11 ¶ ‹જયારે લોકો તમારી નિંદા કરશે અને તમને સતાવશે તથા મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો.›
12 ‹તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ, કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. તમારી અગાઉનાં પ્રબોધકોની સાથે લોકોએ આ રીતે જુલમ કર્યા હતા.›
13 ¶ ‹તમે માનવજગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે કશા કામનું નથી.›
14 ‹તમે માનવજગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.›
15 ¶ ‹દીવો કરીને તેને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે.›
16 ‹તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.›
17 ¶ ‹એમ ન ધારો કે હું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને આવ્યો છું; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું.›
18 ‹કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ.›
19 ¶ ‹એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઈ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જો કોઈ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે.›
20 ‹કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો.›
21 ¶ ‹‘હત્યા ન કર’, અને ‘જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે,’ એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે.›
22 ‹પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે.›
23 ¶ ‹એ માટે જો તું તારું અર્પણ યજ્ઞવેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે,›
24 ‹તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.›
25 ¶ ‹જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે.›
26 ‹ખરેખર હું તમને કહું છું કે, તમે પૂરેપૂરો દંડ ચૂકવશો નહિ, ત્યાં સુધી તમે ત્યાંથી નીકળશો નહિ.›
27 ¶ ‹‘વ્યભિચાર ન કરો’, એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે.›
28 ‹પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે.›
29 ¶ ‹જો તારી જમણી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે.›
30 ‹જો તારો જમણો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે.›
31 ¶ ‹‘જે કોઈ પોતાની પત્નીને છોડી દે તે તેને છૂટાછેડા લખી આપે’, એમ પણ કહેલું હતું.›
32 ‹પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને છોડી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.›
33 ¶ ‹વળી, ‘તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર’, એમ પહેલાના સમયમાં લોકોને કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.›
34 ‹પણ હું તમને કહું છું કે, કોઈ પણ પ્રકારના સમ ન ખાઓ; સ્વર્ગના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે;›
35 ‹પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે; અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે.›
36 ¶ ‹તમે તમારા માથાના પણ સમ ન ખાઓ, કેમ કે તમે એક વાળને પણ સફેદ અથવા કાળો કરી શકતા નથી.›
37 ‹પણ તમારું બોલવું તે ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે દુષ્ટ તરફથી છે.›
38 ¶ ‹‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.›
39 ‹પણ હું તમને કહું છું કે જે દુર્જન હોય તેમની સામા ન થાઓ; પણ જે કોઈ તારા જમણાં ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.›
40 ¶ ‹જે તારો કોટ લેવા માટેનો દાવો કરીને તને ન્યાયસભામાં લઈ જવા ઇચ્છે, તેને તારું પહેરણ પણ લેવા દે.›
41 ‹જે કોઈ તને બળજબરીથી એક માઇલ લઈ જાય, તો તેની સાથે બે માઇલ જા.›
42 ‹જે કોઈ તારી પાસે માગે તેને તું આપ અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે, તેનાથી મોં ન ફેરવ.›
43 ¶ ‹‘તું તારા પડોશી પર પ્રેમ કર અને તારા દુશ્મન પર દ્વેષ કર’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.›
44 ‹પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમને સતાવે છે તેઓને માટે પ્રાર્થના કરો,›
45 ‹એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ. કેમ કે તે સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે.›
46 ¶ ‹કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા?›
47 ‹જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દેવ વગરના લોકો પણ શું એમ નથી કરતાં?›
48 ‹એ માટે જેવા તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થાઓ.›